રશિયા આજે કોરોનાની રસી લોંચ કરે તેવી શક્યતા, ખેડૂતોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાયા, હવે સેના આત્મનિર્ભર બનશે
શુભ પ્રભાત, આજે સોમવારનો દિવસ છે. સપ્તાહની શરૂઆત કરીએ એક હકારાત્મક અહેસાસ સાથે. આ સપ્તાહમાં બે અગત્યના દિવસ આવશે. પહેલો 12 ઓગસ્ટનો દિવસ કે જ્યારે શ્રીકૃષ્ણ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ બીજો દિવસ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ છે. આ આનંદ-ઉત્સવ આપણે સૌએ ખૂબ જ સાવધાની સાથે ઉજવવાના છે કારણ કે કોરોનાએ આપણી વચ્ચેથી હજુ વિદાય લીધી નથી. હવે કોરોના વાઈરસ અંગે સારા સમાચાર જોઈએ. જેની લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી. આજે રશિયા કોરોના વાઈરસની રસી બજારમાં રજૂ કરી શકે છે. આ રસીને રશિયાની ગામાલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (Gamaleya Research Institute) દ્વારા તૈયાર કરવામાં આવી છે. તાજેતરમાં જ આ ઈન્સ્ટિટ્યુટે દાવો કર્યો હતો કે રસી 10 ઓગસ્ટના રોજ બજારમાં આવી જશે.
પ્રધાનમંત્રીએ ખેડૂતોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને ખુશ કર્યા છે. તેમણે રવિવારે કૃષિ વિકાસના નામે એક લાખ કરોડ રૂપિયાનું ફંડ જારી કર્યું છે. આ ઉપરાંત પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં છઠ્ઠો હપ્તો પણ ટ્રાન્સફર કર્યો છે. એટલે કે ખેડૂતોના ખાતામાં રૂપિયા 17 હજાર કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ રકમ 8.5 કરોડ ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવી છે. એક ખેડૂતને રૂપિયા 2 હજાર મળી રહ્યા છે.
સુશાંતના ખાતામાં રૂપિયા 15 કરોડ ન મળ્યા
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ. CBIની એન્ટ્રી. રિયા ચક્રવર્તીની પૂછપરછ. આ કેસમાં દરરોજ એક નવો વળાંક આવી રહ્યો છે. હવે સૂત્રો તરફથી એવો ખુલાસો થયો છે કે EDને સુશાંતના ખાતા (Account) માંથી રૂપિયા 15 કરોડ પ્રાપ્ત થયા નથી. પણ રૂપિયા 10 કરોડથી વધુ રકમનો કેસ ચોક્કસ છે. હવે ફંડ ટ્રાન્સફર અંગે એવી બનાવટી શેલ કંપનીઓ પર આશંકા વઘુ ઘેરી બનતી જાય છે કે જેમની સાથે રિયા ચક્રવર્તી તથા તેના ભાઈ શોવિકનો સંબંધ છે.
ખુરશી અને ધારાસભ્ય બચાવવાની રણનીતિ
રાજસ્થાનમાં રાજકીય સક્રિયતાએ વધુ ગતિ પકડી છે. વિધાનસભાનું સત્ર 14 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે તે આ રાજકીય સક્રિયતાનું કારણ છે. હવે આ સંદર્ભમાં રાજનીતિને આકાર આપવા તથા ખુરશી બચાવવાના પ્રયાસના ભાગરૂપે મુખ્યમંત્રી અશોક ગેહલોત રવિવારે જેસલમેર પહોંચ્યા. અહીં જે ધારાસભ્યો રોકાયેલા છે તેમના આરોગ્ય વિશે ખબર-અંતર પૂછશે. આ સાથે કોઈ ભાજપ નેતા તેમની રજાની મજામાં ખલેલ તો નથી પહોંચાડતાને તે અંગે પણ જાણકારી મેળવશે. બીજી બાજુ ભાજપ પણ 11 ઓગસ્ટથી પોતાના ધારાસભ્યોની જયપુરમાં વાડાબંધી કરશે.
હવે સેના પણ બનશે આત્મનિર્ભર
સરકાર સેનાને પણ આત્મનિર્ભર કરવાની તૈયારી કરી રહી છે. રવિવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ દિશામાં મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું-વિદેશમાંથી આયાત થતા 101 સંરક્ષણ ઉત્પાદનો પર હવે પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. આ સામાન હવે દેશમાં જ તૈયારી કરવામાં આવશે.
બીજી બાજુ ભારતીય સેના ચીન સાથે જોડાયેલી સીમા પર પોતાની શક્તિ વધારવા જઈ રહી છે. આ માટે લદ્દાખમાં જે ઈઝરાયલી ડ્રોન હેરોન UAV ગોઠવવામાં આવેલ છે તેને લેઝર ગાઈડેડ બોમ્બ તથા મિસાઈલોથી સજ્જ કરવામાં આવશે.
અમદાવાદ બાદ વિજયવાડામાં આગની દુખદ ઘટના સર્જાઈ
રવિવારે સવારે આંધ્ર પ્રદેશથી પણ એક દુખદ ઘટનાના સમાચાર આવ્યા હતા. વિજયવાડામાં એક હોટેલમાં આગની ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા હતા. આ હોટેલને કોવિડ-19 ફેસિલિટી સેન્ટરમાં તબદિલ કરવામાં આવી હતી. જ્યારે આગની આ ઘટના સર્જાઈ ત્યારે ત્યાં 40 દર્દી હતા. મેડિકલ સ્ટાફના 10 કર્મચારી પણ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 6 ઓગસ્ટના રોજ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાને લીધે 8 દર્દીના મૃત્યુ થયા હતા.
આજનું રાશિફળ જાણો
10 ઓગસ્ટ, સોમવારના દિવસે ગ્રહ-નક્ષત્રોની અશુભ સ્થિતિને લીધે વૃશ્ચિક તથા ધન રાશિવાળા લોકોને નુકસાન થઈ શકે છે. વિવાદ તથા તણાવભર્યો દિવસ રહી શકે છે. કર્ક, સિંહ, કન્યા અને મકર રાશિવાળા લોકોએ પણ સાવચેતી રાખવી. એસ્ટ્રોલોજર ડો.અજય ભામ્બીના મતે 6 રાશિ ધરાવતા લોકો માટે સારો દિવસ નથી. જ્યારે મેષ, વૃષભ, મિથુન,તુલા, કુંભ અને મીન રાશિવાળા લોકો માટે દિવસ સારો રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31xYSJW
Comments