વાંચો 3 સૌથી પ્રતિષ્ઠિત કૃષ્ણ મંદિરોમાં આજે કેવી રીતે ઊજવાશે જન્માષ્ટમી પર્વ, કેવી રીતે કનૈયાની પૂજા-અર્ચના થશે
કૃષ્ણ આનંદની ધારા છે, જ્યારે મનમાં કોઈ બેચેની, ચિંતા, કે અણગમો થાય, આવા ઊંડા વિશ્રામમાં કૃષ્ણનો જન્મ થાય છે. જન્માષ્ટમીનો આ જ સંદેશ છે. ગંભીરતા સાથે આનંદપૂર્ણ બનો. આજે કોરોનાને પગલે મંદિર બંધ છે. આ જ મર્યાદા-ધર્મ છે કે, ઘરેબેઠા જ જન્મોત્સવનો આનંદ માણો...
બાંકે બિહારી, મથુરા (યુપી): 21 પ્રકારના ભોગ, અહીં જન્માષ્ટમી પર જ મંગળાઆરતી થાય છે
- બુધવારે રાત્રે 11 વાગ્યે મંદિરના સેવક ગોસ્વામીગણ મંદિર પરિસરમાં 21 પ્રકારના ભોગથી પ્રવેશ કરશે.
- ઠાકોરજીને નિવેદન કરશે કે, નિત્યરાસ માટે ન જાઓ, આજે જયંતિ મનાવવા માટે તમારો અભિષેક થવાનો છે.
- મંદિરની બહાર બે યજ્ઞાચાર્ય ગીતાના દશમ સ્કંદના પ્રથમ અને બીજા અધ્યાયના કૃષ્ણ જન્મ ધરાવતા પ્રસંગોનુ પઠન કરશે.
- ગોસ્વામીગણ ઠાકોરજીને અત્તરની માલિશ કરી 11.45 વાગ્યે જગાડાશે. બહાર કુંજ બિહારી અષ્ટકના પાઠ શરૂ થશે.
- માટીનો ઢગલા પર ચાંદીનુ પાત્ર મૂકી અભિમંત્રિત કરવામાં આવશે. આ પાત્ર પર બાંકે બિહારીને સ્થાપિત કરવામાં આવશે.
- પહેલા શુદ્ધ જળ વડે બાદમાં દૂધ, દહીં, ધી, મધ, અને ખાંડ વડે સ્નાન કરાવવામાં આવશે. બાદમાં તૈયાર પંચામૃત અને અંતે શુદ્ધ જળ વડે સ્નાનવિધિ પૂર્ણ થશે. બાદમાં ઠાકોરજીને સિંહાસન પર બિરાજમાન કરી શ્રુંગાર તથા ભોગ થશે.
- બાદમાં તેમને ગર્ભગૃહની બહાર લવાશે. અને મંગળા આરતી થશે. માત્ર જન્માષ્ટમી પર જ બિહારીજીની મંગળા આરતી થાય છે.
(ગોપી ગોસ્વામી, મંદિરના પ્રમુખ સેવક)
શ્રી દ્વારકાધીશ, દ્વારકા (ગુજરાત): દ્વારકાધીશને 1650 વખત જળઅભિષેક, રાત્રે 2 વાગ્યા સુધી ખુલ્લું રહેશે મંદિર
- દ્વારકાધીશના શ્યામ પાષાણ સ્વરૂપનુ પૂજન દ્વારકામાં થાય છે. આ સ્વરૂપ ત્રિવિક્રમરાય તરીકે ઓળખાય છે. જે વિષ્ણુજીના 24માં અવતારમાંથી એક છે.
- બુધવારના રાત્રે પ્રથમ 10 વાગ્યે આરતી થશે. પછી 1650 વખત જળનો અભિષેક થશે.
- ત્યારબાદ દૂધ, દહીં. ઘી, મધ, ખાંડ(મિસરી) વગેરેના પંચામૃતથી ભગવાનનો અભિષેક થાય છે. બાદમાં દૂધના અભિષેકનો ક્રમ થાય છે. જે વેદોક્ત, પુરાણોક્ત અને પુરૂષોક્ત મંત્રો દ્વારા કરવામાં આવે છે.
- મધ્ય રાત્રે આરતી સાથે બાળ ગોપાલને વિવિધ મિષ્ઠાન્ન ભોગ ધરાવવામાં આવે છે.
- આગામી સવારે અર્થાત નોમના દિવસે ભગવાનને અતિપ્રિય માખણ-મિસરીનો ભોગ ધરાવાય છે.
- જગત મંદિરના પટ સામાન્ય દિવસોમાં રાત્રે 10 વાગે બંધ થાય છે. જન્મોત્સવની રાતે ભગવાનને બાળ સ્વરૂપમાં ઝૂલા ઝૂલાવાય છે. તે ફક્ત વર્ષમાં એકવાર જન્માષ્ટમીની રાતે જ કરાય છે. આ માટે પટ રાત્રે બે વાગ્યા સુધી ખુલ્લા રહે છે.
(પ્રણવભાઈ, પૂજારી જગત મંદિર, દ્વારકા)
શ્રીનાથજી, નાથદ્વારા, (રાજસ્થાન): રાઈ-લૂણથી નજર ઉતારવામાં આવશે, રાત્રે 12 વાગ્યે 21 તોપોની સલામી અપાશે
- સવારના 4 વાગ્યાથી શંખનાદ થશે. સવારે 8.30ના શ્રીનાથજીનુ દૂધ, દહીં, ઘી, ખાંડ અને મધથી પંચામૃત સ્નાન થશે. શ્રુંગાર બાદ રાઈ-લૂણ વડે નજર ઉતારવામાં આવશે. પંડ્યાજી ઠાકોરજીને જન્મપત્રી સંભાળવશે.
- રાત્રે 9.15 વાગ્યે જાગરણના દર્શન ખુલશે. હવેલીમાં નૌબત, નગારા, ઘંટનાદ, ઘડિયાળ, શંખનાદથી વાતાવરણ
- ગુંજી ઉઠશે.
- રાત્રે 12 વાગ્યે ઠાકોરજીના પ્રાગ્ટ્યનો સંકેત આપતાં બ્યૂગલ વાગશે. રિસાલા ચોકમાં બે તોપોથી 21 વાર સલામી આપવામાં આવશે.
- શ્રીનાથજીને દૂધ, દહીં, ઘી, મધ, અને ત્યારબાદ ખાંડ વડે ક્રમાનુસાર, સ્નાન કરાવવામાં આવશે. બાદમાં શુદ્ધ જળ વડે સ્નાન કરાવવામાં આવશે.
- ચંદન વગેરે સુગંદિત દ્રવ્યોથી સ્નાન, શ્રૃંગાર થશે. બાદમાં જન્મ આરતી થશે. બાદમાં અભિનંદન ગાન અને કિર્તન થશે.
- રાત્રે 1.15 વાગ્યે મહાભોગમાં પંજરી, 5 ભાત, અનાજ-દૂધ, ફળ વગેરેથી બનાવેલા 100થી વધુ પ્રકારના થાળનો મહાભોગ ધરાવવામાં આવશે.
(તિલકાયત રાકેશજી મહારાજ)
કૃષ્ણ જન્માષ્ટમી પૂજન મુહૂર્ત
રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ શરૂ થાય છે. નિશિતા પૂજાનો સમય બુધવારે રાત્રે 12:05 વાગ્યાથી 12:47 સુધીનો છે.
અગ્નિપુરાણ અનુસાર-
આહવાન મંત્ર: પૂજાનો પ્રારંભ
આવાહમ્યામ્યહં કૃષ્ણં બાલભદ્રં ચ દેવકીમ|
વસુદેવં યશોદાં ગા: પૂજયામિ નમોસ્તુતે||
અર્થાત: હું શ્રીકૃષ્ણ, બલભદ્ર, દેવકી, વસુદેવ, યશોદા અને ગૌમાતાનું આહવાન અને પૂજન કરું છું. આપ સૌને નમસ્કાર છે.
શ્રીકૃષ્ણને સ્નાન કરાવો અને અર્ધ્યદાન કરો
યજ્ઞેશ્વરાય યજ્ઞાય યજ્ઞાનાં પતયે નમ:|
યજ્ઞાદિસમ્ભવાયૈવ ગોવિન્દાય નમો નમ:||
અર્થાત્: યજ્ઞેશ્વર, યજ્ઞસ્વરૂપ, યજ્ઞોના અધિપતિ અને યજ્ઞના આદિ કારણ શ્રીગોવિંદને વારંવાર નમસ્કાર.
પુષ્પ-ધૂપ અર્પણ કરીને આ વાંચો...
ગૃહાણ દેવ પુષ્પાણિ સુગન્ધિનિ પ્રિયાણિ તે|
સર્વકામપ્રદો દેવ ભવ મેં દેવવંદિત||
ધૂપધૂપિત ધૂપં ત્વં ધુપિતૈસ્ત્વં ગૃહાણ મેં|
સુગન્ધિધુપગન્ધાઢયં કુરુ માં સર્વદા હરે||
અર્થાત્: દેવ! સુગંધિત પુષ્પ ગ્રહણ કરો. મારી ઇચ્છાઓ પૂર્ણ કરો. મને સુગંધિત પુષ્પો, ધૂપથી સંપન્ન કરો.
દીપ-દાન કરતી વખતે બોલો...
દીપદીપ્ત મહાદીપં દીપદીપ્તદ સર્વદા|
મયા દત્તં ગૃહાણં ત્વં કુરુ ચોર્ધ્વગતિં ચ મામ||
વિશ્વાય વિશ્વપતયે વિશ્વેશાય નમો નમ:|
વિશ્વાદિસમ્ભવાયૈવ ગોવિન્દાય નિવેદિતમ||
અર્થાત્: પ્રભુ! તમે દીપને દીપ્તિ પ્રદાન કરનારા છો. આ મહાદીપ ગ્રહણ કરો. શ્રીકૃષ્ણને હું આ દીપ નિવેદન કરું છું.
શયનમંત્ર: પૂજાનો અંતિમ તબક્કો
ધર્માય ધર્મપતયે ધર્મેશાય નમો નમ:|
ધર્માદિસમ્ભવાયૈવ ગોવિન્દ શયનં કુરુ||
સર્વાય સર્વપતયે સર્વેશાય નમો નમ:|
સર્વાદિસમ્ભવાયૈવ ગોવિન્દાય નમો નમ: ||
અર્થાત્: ધર્મના અધિપતિ શ્રીવાસુદેવને નમસ્કાર. ગોવિંદ ! હવે તમે શયન કરો. સર્વરૂપ શ્રીગોવિંદને નમસ્કાર.
ચંદ્રમાને અર્ધ્યદાન આપો
ક્ષીરોદાર્ણવસમ્ભુત અત્રિનેત્રસમુદ્ધવ|
ગૃહાણાર્ઘ્ય શસાક્કેદં રોહિણ્યા સહિતો મમ||
અર્થાત્: ક્ષીરસમુદ્રમાંથી પ્રકટ પ્રભુ રોહિણી સાથે મારું અર્ધ્ય સ્વીકાર કરો.
અભિષેક: ભગવદ્ વિગ્રહને વેદિકા પર સ્થાપિત કરો. અર્ધરાત્રિ સમયે ગોળ અને માખણયુક્ત દૂધથી અભિષેક કરો.
કૃષ્ણની શીખ: ડરનો સામનો કરો અને આગળ વધો
માઈથોલોજિસ્ટ દેવદત્ત પટનાયકના જણાવ્યા અનુસાર કાળિયા નાગ અને બાલકૃષ્ણ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. કાળિયો દરરોજ યમુના નદીના પાણીને ઝેરી બનાવી દેતો હતો એટલા માટે કૃષ્ણએ તેને ત્યાંથી ભગાડવાનું નક્કી કર્યુ. તેમણે કાળિયાની ફેણ પર કૂદકો માર્યો અને તેને પગ વડે મારવા લાગ્યા અને કહ્યું કે અહીંથી નીકળી જા. કાળિયો માન્યો નહીં. તેણે કહ્યું કે આગળ ગરુડ રહે છે. તે મને મારી નાખશે. કૃષ્ણે કહ્યું કે જીવનમાં હંમેશા આગળ વધવું જરૂરી છે. ડરશો નહીં. હિમ્મત રાખો. આગળ વધો. ગરુડનો સામનો કરવા તમે કોઈ રીત શોધી લેશો. આપણે અજાણી વાતોનો સામનો કરતા ડરીએ છીએ, કમ્ફર્ટ ઝોનથી બહાર નીકળતાં ખચકાઇએ છીએ. કાળિયાની કહાણી આપણી આશંકાઓનો સામનો કરવાનો બોધ આપે છે.
કૃષ્ણ રાસલીલાથી પણ આપણને એક મહત્ત્વપૂર્ણ બોધપાઠ મળે છે. ગોપીઓ રાત્રે ઘરથી દૂર વનમાં પણ કૃષ્ણની સંગતમાં ખુદને સુરક્ષિત અનુભવતી હતી. અસલમાં ગોપીઓ કૃષ્ણ પર અધિકાર જમાવતી, કૃષ્ણ ગુમ થતા…વનમાં અંધકાર છવાઈ જતો. આપણે બધા ડરેલી ગોપીઓ જેવા છીએ, વાંસળીના મધુર અવાજ માટે રોકાયેલા છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે દરેક માનવી સાથે ગોપી અને કૃષ્ણ બંને છે, સંગીત માટે તરસતું અને સંગીત વગાડવામાં સક્ષમ. તેના માટે એ સમજવું જરૂરી છે કે આપણી પાસે એક વાંસળી છે અને આજુબાજુના લોકો સંગીત માટે આતુર છે.
કૃષ્ણથી સૌથી મોટો બોધપાઠ આપણને ભગવદ ગીતામાં મળે છે, તેમણે અર્જુનને કુરુક્ષેત્રનું યુદ્ધ લડવા માટે મનાવ્યા હતા, જેથી ધર્મની રક્ષા થઈ શકે. ધર્મનું પાલન છે – બોલવાને બદલે બીજાને સાંભળો, લેવાને બદલે આપો, નિ:સહાયોની મદદ કરો, સ્નેહી બનો અને બીજા પર હાવિ ન થાઓ. ધર્મના પાલનમાં ભૂખ્યો માનવી પણ ભોજન વહેંચે છે. કૌરવોનું મોત એટલા માટે થયું કેમ કે તેમણે પોતાની જમીન વહેંચવાથી ઈનકાર કરી દીધો હતો. જ્યાં સુધી આપણે વહેંચવાથી ઈનકાર કરતા રહીશું અને આપણી લાલચને યોગ્ય ઠેરવવાના કારણો શોધીશું, ત્યાં સુધી યુદ્ધ થશે. શાંતિ નહીં થાય.
(આજનો વિશેષ જન્માષ્ટમી અંક મોબાઇલ પર મેળવવા માટે 8239978607 પર મિસ્ડ કોલ કરો.)
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3gPJA9B
Comments