રાહત સાથે ઘણીવાર હું લડી પડતો કે મુશાયરામાં આટલા ખરાબ શર્ટ પહેરીને કેમ આવો છો? કોરોનામાં મને 3-4 દિવસે મારી ખબર પૂછતાં હતા
જ્યારથી આ કોરોના નામનો વાઈરસ ફેલાયો છે, દર ત્રીજા-ચોથા દિવસે રાહત મને કોલ કરતા હતા. મારા ખબર-અંતર પૂછતા અને મને કહેતા કે જરાક પણ લાપરવાહી ના કરશો. મંગળવારે સવારે મને સમાચાર મળ્યા કે રાહતને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આંચકો લાગ્યો પણ એવી આશા જરાય નહોતી કે રાહત મને આ રીતે છોડી જશે. આ મહામારીએ મારાથી મારો રાહત છીનવી લીધો.
શું-શું યાદ કરું, લાંબા સમય સુધી અમે સાથે રહ્યા છીએ. તેમના જવાથી મુશાયરામાં જવાનો મારો શોખ પણ આજે ખતમ થઇ ગયો. હું અનેક મહેફિલોમાં ફક્ત એટલા માટે જતો હતો કે એકાદ સાંજ રાહત સાથે પસાર થશે. મહેફિલ પરવાન ચઢે એટલા માટે રાહતના શેર પણ સંભળાવી દેતો હતો હું અને તે મારા શેર ત્યાં ઈન્દોરમાં રાનીપુરામાં સંભળાવતા હતા. ‘સામને ઉસ કે ન કહતે મગર અબ કહતે હૈ, લજ્જત-એ-ઈશ્ક ગઇ ગૈર કે મર જાને સે…’
ઈન્દોરમાં જ્યારે મારા ઘૂંટણનું ઓપરેશન થયું હતું ત્યારે તે મારા માટે દરરોજ ભોજન રાંધીને લાવતા હતા. દુનિયામાં તેમને મંચ પર કલંદરી કરતા જોયા છે, મેં તેમને તેમના ઘરમાં ફકીરીના વેશમાં જોયા છે. પોતાની માની યાદમાં રડતાં જોયા છે. દેખાડાનો કોઈ શોખ નહોતો. અનેકવાર તો હું લડવા લાગતો કે મુશાયરામાં પણ આટલું ખરાબ શર્ટ પહેરીને આવો છો. જ્યારે પણ કલકત્તા આવે ત્યારે હું તેમને મારી પસંદગીનું શર્ટ અપાવતો. તે સંપૂર્ણ શાયર, સંપૂર્ણ કલંદર અને સંપૂર્ણ મલંગ હતા. તે ખરેખર મારાથી મોટા શાયર હતા. તેમ છતાં મારા કહેવા પર તેઓ કલકત્તાના મુશાયરામાં આવી જતા હતા. ત્યારે આટલી દૂર સુધી આવવાનું પેમેન્ટ 500 રૂપિયા પણ નહોતું. રાહતે ક્યારેય પૈસા નક્કી નહોતા કર્યા. ન ક્યારેય કવર ખોલીને જોયું. મારા માટે તેમણે વિદેશના મુશાયરા પણ કુરબાન કરી દીધા. જ્યારે હું અનેકવાર તેમના આમંત્રણ પર પણ મુશાયરામાં નહોતો ગયો. એકવાર તો તેમણે મને પત્ર લખ્યો કે તમારા ન આવવાથી મારી એટલી બદનામી થઈ છે કે જો નાના નાના બાળકો ન હોત તો હું આપઘાત કરી લેત. એ વાત કહેતા મને અત્યંત પીડા થાય છે કે હવે ડ્રોઅરમાં સુરક્ષિત મૂકી રાખેલા એ પત્રોમાં જ રાહત મને મળશે.
(અંકિતા જોશી સાથે વાતચીતમાં જણાવ્યા પ્રમાણે)
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fJr3uk
Comments