બ્રિટનમાં કડક નિયમો અને નોકરી ગુમાવતા લોકો તણાવગ્રસ્ત થયા, 44 લાખથી વધુ લોકોએ ઓનલાઇન ફોરમને પૂછ્યું કે નવરાશની પળોને તકમાં કઈ રીતે બદલીએ
બ્રિટનમાં કોરોના વાઈરસથી 45,312 મૃત્યુ થયાં છે. મૃત્યુ મામલે બ્રિટન અમેરિકા, બ્રાઝિલ પછી ત્રીજા ક્રમે છે. આ આંકડા અને ટ્રેન્ડ પર બ્રિટન સરકારના સાયન્સ એડવાઈઝરી ગ્રૂપના સભ્ય અને ઈમ્પિરિયલ કોલેજના પ્રો.નીલ ફર્ગ્યુસન કહે છે કે જો બ્રિટને બાકી દેશોની જેમ પહેલાં લૉકડાઉન લગાવ્યું હોત તો અહીં આવી ભયાવહ સ્થિતિ ન સર્જાઈ હોત. લંડન, દક્ષિણ-પૂર્વ અને ઉત્તર પશ્ચિત ઈંગ્લેન્ડ કોરોના વાઈરસને લીધે સૌથી વધુ પ્રભાવિત થયા છે. બ્રિટનના સૌથી ગરીબ વિસ્તારોમાં દર એક લાખે મૃત્યુ પામનારા ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 128 છે. જોકે જ્યાં 10% સૌથી ધનિક લોકો રહે છે ત્યાં ફક્ત 59 છે. યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના પ્રોફેસર નિશી ચતુર્વેદી જણાવે છે કે ગરીબી, બેરોજગારી અને ભીડને લીધે કોરોના ચેપની અસર અનેકગણી વધી ગઈ.
ચોંકાવનારી વાત એ છે કે લંડનના ઉત્તર લામ્બેથ, બર્રો, સાઉથ વૉર્કસ્ટ્રીટમાં ચેપને લીધે એક પણ વ્યક્તિ મૃત્યુ પામી નથી. આ રીતે જ લેન્કેશાયરનાં ગામડાં, માન્ચેસ્ટરનું કેસલ ફિલ્ડ, ડીન્સગેટ અને કોલીહર્સ્ટમાં પણ કોરોનાનો એક પણ કેસ નથી. તેનાથી જાણ થાય છે કે યુવાઓમાં આ ચેપથી થતાં મૃત્યુની સંભાવના ઓછી છે. બીજી બાજુ જર્નલ ઓફ વૉકેશનલ બિહેવિયરના રિસર્ચ અનુસાર બેરોજગાર થયેલા 34 ટકા લોકો માનસિક રોગનો સામનો કરી રહ્યા છે. તેનું મોટું કારણ લૉકડાઉનની કડકાઈ અને 25 લાખથી વધુ નોકરીઓ જવું છે. શાહી પરિવારે પણ સેંકડો લોકોને નોકરીથી કાઢી મૂક્યા હતા. નોકરી જવાને લીધે સિટિઝન એડવાઈસ ફોરમમાં દર બે મિનિટે એક કોલ આવે છે. લોકો પૂછે છે કે તેઓ નવરાશની પળોમાં શું કરે? વેબસાઈટ પર 44 લાખથી વધુ લોકો સંપર્ક કરી ચૂક્યા છે.
મૃત્યુ પામનારામાં 35% મેદસ્વી
ચેપ અને તેનાથી થનારાં મૃત્યુને જોતાં જાણ થાય છે કે જે દર્દીઓનો બોડી માસ ઈન્ડેક્સ વધારે હતો તે ચેપથી વધુ પ્રભાવિત થયા. જેટલા લોકો ચેપથી ગંભીર બીમાર હતા તેમનામાંથી 35 ટકા દર્દી મેદસ્વીતાના શિકાર હતા. ચેપથી મૃત્યુ પામનારા નેશનલ હેલ્થ સર્વિસના કર્મચારીઓમાં 61 ટકા કાં તો મેદસ્વી કાં પછી મેદસ્વીતાની સાથે ડાયાબિટીસથી પીડિત હતા.
અર્થતંત્ર : બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટન પર સૌથી વધુ દેવું વધ્યું
નિષ્ણાતોએ બ્રિટનનું અર્થતંત્ર ચાલુ વર્ષે 11.5% સુધી ઘટશે તેવી આશંકા વ્યક્ત કરી છે. જીડીપીનો 75% હિસ્સો સેવા ક્ષેત્રમાંથી આવે છે. નાણાકીય સેવાઓ, પર્યટન-હોસ્પિટાલિટી ક્ષેત્ર અર્થતંત્રના કરોડરજ્જુ સમાન છે. આ તમામ સેક્ટર ઠપ્પ છે. અર્નેસ્ટ એન્ડ યંગના રિપોર્ટ મુજબ બ્રિટનના ગ્રાહક ખરીદી કરવામાં એકબે વર્ષ સુધી ખચકાશે. કન્ઝ્યૂમર કોન્ફિડેન્સ 2008ના નાણાકીય સંકટના સમયની તુલનાએ નીચે પહોંચ્યો છે. સરકારી ક્ષેત્રનું ચોખ્ખું દેવું 2020-21માં 273 બિલિયન પાઉન્ડથી વધીને 300 બિલિયન પાઉન્ડ થયું છે જે બીજા વિશ્વયુદ્ધ બાદ સૌથી વધુ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3htALlQ
via IFTTT
Comments